નર્મદા જિલ્લાની કોઇપણ માતા કે બાળક મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ માટે લાયક હોય તેવા તમામ લાભાર્થીઓને નિયત કરાયેલ સમયગાળામાં આવરી રસીકરણ કરવા અધિક જિલ્લા કલેક્ટર એચ.કે.વ્યાસનો અનુરોધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

અધિક જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે મિશન ઇન્દ્રધનુષ, વિશ્વ કૃમિનાશક દિવસ અને વિટામીન-A ના આયોજન અંગેની યોજાયેલી બેઠક

નર્મદા જિલ્લામાં તા.૭ મી ફેબ્રુઆરીએ હાથ ધરાનારા મિશન ઇન્દ્રધનુષમાં જિલ્લામાં રૂટીન રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને બાળકોને સ્પેશીયલ ડ્રાઇવ દ્વારા સંપૂર્ણ રસીકરણ હેઠળ આવરી લેવાશે

અધિક જિલ્લા કલેકટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ઝંખનાબેન વસાવા, જિલ્લા લેપ્રસી અધિકારી ડૉ. હેતલભાઇ ચૌધરી, જિલ્લા પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી વર્ષાબેન વસાવા, એપેડેમીક મેડીકલ ઓફીસર આર.એસ.કશ્યપ સહિત તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓની ઉપસ્થિતિમાં મિશન ઇન્દ્રધનુષ, કૃમિનાશક દિવસ અને વિટામીન-એ રાઉન્ડના આયોજન અંગેની બેઠક યોજાઇ હતી.

અધિક જિલ્લા કલેકટર એચ.કે.વ્યાસે ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી તા.૭ મી ફેબ્રુઆરીએ યોજાનારા મિશન ઇન્દ્રધનુષમાં જિલ્લામાં રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને બાળકોને સંપૂર્ણ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવે તેની સાથોસાથ જિલ્લાની કોઇપણ માતા કે બાળક જે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ માટે લાયક હાય તેવા તમામ લાભાર્થીઓને નિયત કરાયેલ સમયગાળામાં આવરી લેવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

અધિક જિલ્લા અરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે ઉક્ત બેઠકમાં જણાવ્યું હતું કે, તા.૭ મી ફેબ્રુઆરીએ યોજાનારા મિશન ઇન્દ્રધનુષમાં રૂટીન રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને બાળકો માટે જિલ્લામાં વિવિધ ૧૩ જેટલી સેશન સાઇટો મારફતે જિલ્લાના ૦ થી ૫ વર્ષની વયના ૫૨ જેટલા બાળકો અને ૮ જેટલી માતાઓને આવરી લેવામાં આવશે. તેની સાથોસાથ મિશન ઇન્દ્રધનુષનો રાઉન્ડ ૭ મી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ-૨૦૨૨ દરમિયાન પણ યોજાશે.

ડૉ. ગામીતે વધુમાં જણાવ્યું હતું કે, તા.૧૦ મી ફેબ્રુઆરી,૨૦૨૨ દરમિયાન પણ ૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને કૃમિનાશક દિવસ અંતર્ગત (આલ્બેન્ડાઝાલ) ની ગોળી તેમની ઉંમર પ્રમાણે આપવામાં આવશે જ્યાં શાળાઓ, આંગણવાડીમાં શિક્ષણકાર્ય બંધ હોય ત્યાં ૧ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડી મારફતે અને ૬ થી ૧૯ વર્ષના બાળકોને આશા, એ.એન.એમ બહેનો દ્વારા તમામ બાળકોને ઘરે ઘરે (ડોર ટુ ડોર) જઇને ક્રૃમિનાશક ગોળી અપાશે જેમાં નર્મદા જિલ્લાના કુલ-૨૦૮ જેટલા નિયત કરાયેલા આરોગ્ય કેન્દ્રો મારફતે જિલ્લાના ૧,૫૧,૪૨૩ જેટલા બાળકોનો કૃમિનાશકની ગોળી આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયેલ હોવાની સાથોસાથ જિલ્લામાં ૯ માસથી લઇને ૫ વર્ષના બાળકોને પણ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો મારફતે વિટામીન-A ની સીરપ આપવામાં આવશે જેમાં જિલ્લાના ૪૧,૫૭૫ જેટલા બાળકોને આવરી લેવાશે. ભારત સરકાર ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ કોવિડ-૧૯ ના પ્રોટોકોલ ગાઇડલાઇનનું પણ પાલન થાય તે રીતનું સુચારૂં આયોજન હાથ ધરાયું હોવાનું ડૉ.ગામીતે ઉક્ત આયોજન અંગેની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here