જાંબુઘોડા,(હાલોલ) ઇમરામ ખાન :-
“આપ” ના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના નેતૃત્વમાં બેઠક યોજાઇ
આજ રોજ જાંબુઘોડા સર્કીટ હાઉસ પર પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ ના નેતૃત્વમાં તાલુકાના કાર્યકરોની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા સંગઠનની રચના કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી.
બેઠકની શરૂઆત તાલુકાના પૂર્વ પ્રમુખશ્રી સ્વ. અરવિંદભાઇ બારીઆ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. તેમજ આજ રોજ ૯ જૂન એટલે સ્વાતંત્ર્ય સેનાની, ભગવાન બિરસા મુન્ડાજીની પુણ્યતિથિ હોય એથી તેઓના બલિદાન ને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી અને બિરસા મુન્ડાજીના જીવન વિશે જિલ્લા પ્રમુખે માહિતી આપી હતી.
ત્યાર બાદ જાંબુઘોડા આમ આદમી પાર્ટીના તાલુકા સંગઠન માટે ઉપસ્થિત કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને તાલુકા પ્રમુખ, ઉપ પ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી, તાલુકા મહિલા પ્રમુખ, તાલુકા યુવા પ્રમુખ, કિસાન સમિતિ પ્રમુખ, વિગેરે હોદ્દેદારોના નામો નક્કી કરવામાં આવ્યા. આ નવ નિયુક્ત કરેલા હોદ્દેદારોની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.
હાલ પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકા, શહેર અને બુથ લેવલના સંગઠન બનાવવાની કામગીરી ચાલુ છે અને તમામ તાલુકાઓમાં કાર્યકરો સાથે મિટિંગ કરી સૌના અભિપ્રાય અને અનુભવ આધારિત માર્ગદર્શન હેઠળ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર જિલ્લામાં તમામ નિયુક્તિ થયા બાદ તેની એક સાથે જાહેરાત કરવામાં આવશે એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.