શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
જૂની પાદરડી પ્રા.શાળામાં ચાલું વર્ષે ધો.8 માં કુલ 42 વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પરિવાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પાદરડીના ઉત્સાહી, વિદ્યાર્થી પ્રેમી તેમજ જ્યોતિધરના હિમાયતી આચાર્ય જયદીપસિંહ પુવારના અધ્યક્ષસ્થાને વેકેશન બેચની શિબિર યોજવામાં આવી હતી. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પાદરડીના પોષક વિસ્તારના ધો.8 પાસ કરીને ધો.9 માં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ માટે આચાર્ય તેમજ શાળા પરિવાર દ્વારા વેકેશન દરમિયાન જ શૈક્ષણિક કારકિર્દી સંદર્ભે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જૂની પાદરડી પ્રા.શાળા ખાતે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ડૉ.કલ્પેશ આર.પરમારે તમામ વિદ્યાર્થીઓ માટે વેકેશન બેચનું આયોજન કરનાર ટીમનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરી સૌને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમજ યજમાન શાળાના આચાર્ય સુશીલાબેન પટેલ દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. જૂની પાદરડી પ્રા.શાળા પરિવાર સૌ માર્ગદર્શન શિબિરમાં જોડાયો હતો.