રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે સ્માર્ટ આંગણવાડી નું ભૂમિપૂજન કર્યુ
કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર આજથી બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે છે ત્યારે કેન્દ્રીય મંત્રી આજે સવારે રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ૧૧:૩૦ કલાકે તિલકવાડા તાલુકા ના સાંસદ આદર્શ ગામ યોજના હેઠળના વ્યાધર ગામની મુલાકાત લીધી હતી અને ભૂલકાઓ માટે સ્માર્ટ આંગણવાડી નું ભૂમિપૂજન કર્યુ હતું જે પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા, નર્મદા જીલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામે જવા રવાના થયા હતા, અને આમદલા ગામની મુલાકાત કરી ગ્રામજનો સાથે સંવાદ સ્થાપિત કરી ખૂટતી કડી અંગે માહિતી મેળવી હતી. બાદમાં એકતાનગર (કેવડીયા) સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. અને ત્યાં થી સાગબારાના ભાડોટ અને ડેડીયાપાડા તાલુકાના માલ સામોટ ગામ ની મુલાકાત માટે નીકળ્યા હતા.
આવતી કાલે તા.૨૭મી મે, શનિવારના રોજ સવારે ૮:૧૫ થી ૯:૦૦ કલાકે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે નિર્માણ થનાર જિમ્નાસ્ટિક હોલની મુલાકાત લેશે. અને પ્રગતિ હેઠળના કામનું નિરિક્ષણ કરશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સવારે ૦૯:૩૦ કલાકે અમદાવાદ જવા રવાના થશે.