શહેરા,
પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ
આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસનાં કહેરથી પીડાઈ રહ્યું છે, અને દુનિયાના અમુક દેશોમાં તો કોરોનાનો પ્રકોપ બધી જ હદો પાર કરી માનવ જીવન માટે રાક્ષસની ભૂમિકા ભજવી રહ્યો છે. જયારે હાલ ભારતમાં પણ કોરોના એક ભયંકર મહામારીરૂપે પોતાનો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે જેથી આજે ભારતમાં પણ દિનપ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ભારત સરકારે દેશમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા અને સામાજિક દુરી રાખવા લોકડાઉનનો સમયગાળો વધારી દીધો હતો. તેમજ લોકડાઉન દરમ્યાન ગરીબ અને જરૂરતમંદ લોકોને ખાવા-પીવાની તકલીફ ના રહે એના માટે સસ્તા અનાજની દુકાનો દ્વારા મફત અનાજ વિતરણ કરવાની શરૂઆત કરી હતી. જેમાં પહેલા તબક્કામાં યોગ્ય રીતે અનાજ વિતરણની કામગીરી કરવામાં આવી હતી અને હવે સરકારના આદેશ મુજબ સમગ્ર રાજ્ય સહીત પંચમહાલ જીલ્લ્લામાં પણ બીજા તબક્કાના અનાજ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇ શહેરામા બીજા તબક્કામાં સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહયુ છે. માટે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા અમુક સસ્તાં અનાજની દુકાનોની મુલાકાત લેવામાં આવી રહી છે અને રેશનકાર્ડ ધારકોને કોરોનાના કહેરથી બચવા, માસ્ક પહેરવા તેમજ સોસીયલ ડીસ્ટેન્સ રાખવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. હાલ શહેરા નગર અને તાલુકામાં આવેલ 95 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં પોલીસ બંદોબસ્ત સાથે રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો આપવામાં આવી રહ્યો છે.