શહેરા,તા-૦૪-૦૪-૨૦૨૦
પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ
ચીનથી નીકળી સમગ્ર વિશ્વમાં પ્રસરાઈ રહેલા કોરોના વાયરસએ ભારત દેશને પણ પોતાના ભરડામાં લીધું છે, અને આ ભયંકર મહામારીનો કોઈ ઈલાજ નાં હોવાથી તેને રોકવા કે પછી એને વધુ ફેલાવાથી અટકાવવા માટે ભારત સરકારે સમસ્ત ભારતભરમાં લોકડાઉન જાહેર કરી દીધું છે. આ લોકડાઉનનાં ૧૦ માં દિવસે રોજ મજુરી કામ કરી પોતાનું પેટીયું રડતા અનેક લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે, જ્યારે કેટલાય લોકો તો પોતાની કર્મભૂમિ એટલે કે પેટ નો ખાડો પુરાવા માટે ઘર છોડીને ભારતનાં છેવાડા સુધી પલાયન કરતા હોય છે એવા લોકો પણ આજે આ લોકડાઉનનાં કારણે પોતાના માદરે વતન પરત આવી ગયા છે. અને આ રીતે અણધાર્યા સંજોગામાં પોતાના વતન પરત થયા પછી તેઓની દશા દુર્દશા બની ગઈ છે પરંતુ આજે પણ આવા કળયુગમાં કલકીનાં આગમનનાં વિશ્વાસે માનવતાને માન આપનારા સપૂતો જીવત હોવાના સંકેત દેખાઈ રહ્યા છે, જેનું એક જીવંત ઉદાહરણ શહેરા તાલુકાનાં ભૂરખલ ગામે જોવા મળ્યું હતું.
શહેરા તાલુકાના ભુરખલ ગામ ખાતે મહારાષ્ટ્રના પુના અને મુંબઈ તેમજ અન્ય શહેરમાં રહેતા છારા સમાજના લોકો પોતાના માદરે વતન આવ્યા હતા. ગામના કૃપાલસિંહ પરમાર અને સુરેશભાઈ તેમજ સરપંચ ગંભીરભાઇ રાઠવા દ્વારા દસ દિવસ ચાલે તેટલુ અનાજ આ પરિવારને આપવામાં આવતા માનવતા મહેકી ઊઠી હતી . આવી પરિસ્થિતિમાં ગામના અગ્રણીઓ દ્વારા પણ જરૂરિયાત મંદ લોકોને બને તેટલી મદદ કરવામાં આવી રહી છે.