કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
કાલોલ તાલુકાના વેજલપુર ગામના શેઠ ફળિયામાં આવેલા જોખમી અને જર્જરિત મકાનને ઉતારી લેવા માટે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નહોતી અને આ મકાન બાબતે કોર્ટ કેસ, જપ્તી ચાલતી હોવાનું કારણ આપીને આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી તેવો આક્ષેપ અરજદારોએ અરજીમાં કરેલો છે. વધુમાં ગ્રામજનો દ્વારા કોર્ટ કેસની માહિતી માંગતા સરપંચ તથા તલાટી પાસે આવા કોઈ કેસની માહિતી પણ ન હોવાનો આક્ષેપ કર્યો છે.
વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે એકદમ મજબૂત અને અડીખમ વેજલપુર મધ્યમાં આવેલો ટાવર તોડી પાડવા માટે કોઈ અગમ્ય કારણોસર મંજૂરી આપી દેવામાં આવે છે જ્યારે આવા જર્જરીત અને લોકોને નુકસાન કરે તેવાં મકાનો તોડવામાં આંખ આડા કાન કયા કારણે કરવામાં આવે છે ? આ મકાન ભવિષ્યમાં પડે તો આસપાસના મકાનોને પણ જોખમકારક હોવાનું જણાવેલ છે. આવેદનપત્રમાં અરજદારોએ જણાવેલ કે આ સમસ્યાનું તાકીદે નિવારણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપેલી છે.