રાજકોટ,
વિનુ ખરાળીયા
કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે તેમજ હાલ રાજકોટ શહેરમાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે આવા કપરા સમયમાં રાજકોટ મહાનગર પાલિકાના સફાઈ કામદારો તેમજ કચરો ઉઠાવનારા કર્મચારીઓ કોઈક કારણોસર રાજકોટ શહેરના તમામ વિસ્તારમાં પહોંચી શકતા નહિ હોય..!! માટે અમુક વિસ્તારના લોકો પોતાના ઘરનો કચરો નજીકમાની ખુલ્લી જગ્યામાં નાંખી દેતા હોય છે, કારણ કે હાલમાં ચાલી રહેલ લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળવા પર સદંતર પ્રતિબંધ છે.જેથી ઘરમાં ભેગો થતા કચરાનો નિકાલ કરવો પણ જરૂરી છે અને પાલિકાના સફાઈ કામદાર પણ નથી આવતા જેથી લોકો કચરાની સમસ્યાને લઈને હેરાન થઇ રહ્યા છે. આવી વિકટ સમસ્યાથી પીડાઈ રહેલા શહીદ ઉધમસિંહ આવાસના રહીશોમાંથી એક ઘરના વ્યક્તિએ પોતાના ઘરનો કચરો એક ખાલી પ્લોટમાં નાંખતા તેઓએ કોઈ મોટો ગુન્હો કર્યો હોય એમ દબંગાઈ રાજકારણની અભદ્ર ભાષાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
અમારા પ્રતિનિધિ થકી મળતી માહિતી મુજબ રાજકોટના કુવાડવા રોડ પર આવેલ શહીદ ઉધમસિંહ આવાસના રહીશો દ્વારા બહારના પ્લોટમાં કચરો નાંખવામાં આવતા વોર્ડ નંબર 4 ના ભાજપના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ આવી આવાસના રહીશોને બેફામ ગાળો આપી હતી.જ્યારે ત્યાંના રહીશોના કહેવા મુજબ જ્યારે કચરો નાખનારે માફી માંગી હોવા છતાં તમામ આવાસના રહેવાસીઓને મન ફાવે તેમ ગાળો આપવામાં કેમ આવી રહી હતી…!!? શું રાજકોટમાં જંગલરાજ છે..!!? અને આવાસના રહીશોએ આરોપ કર્યો હતો કે, પરેશભાઈ પીપળીયા જ્યારે અમારા વિસ્તારમાં આવ્યા હતા ત્યારે તેઓ દારૂ પિઈને આવ્યા હતા. અને મન ફાવે એમ ગાળો બોલ્યા હતા. તેમજ આવાસમાં ભાજપના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા દ્વારા પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અને તમામને આવાસ ખાલી કરી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે આવાસના તમામ લોકો રોષે ભરાયા હતા. અને જ્યારે આવાસના તમામ લોકો નીચે એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી. અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને ત્યાંના આગેવાનો સાથે વાતચીત કરવામાં આવી હતી.