રાજકોટ,
વિનુ ખેરાળીયા
હાલ કોરોનાના કહેરને લઇને માનવ જીવન હેરાન પરેશાન થઇ રહ્યું છે, વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ ઠાલવ્યો છે, જ્યારે ભારતમાં પણ ચારેય દિશાઓમાં કોરોનાની બુમો ઉઠવા પામી છે. જેને ધ્યાનમાં લઈને સરકારે લોકડાઉનને ત્રીજા તબક્કા સુધી લંબાવી દીધું હતું. માટે આજે દેશ સહીત રાજકોટ શહેરમાં પણ લોકડાઉનની અસર દેખાઈ રહીં છે અને આ લોકડાઉનમાં રોજ મજુરી કામ કરી પોતાનાં ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની ગઈ છે, આવા કપરા સમયમાં જો કોઈ દાનવીર અન્ન કે પછી બીજી કોઈ ખાદ્ય સામગ્રી આપવા આવે છે તો લોકો આંખ બંધ કરી તેને લેવા દોડી પડતા હોય છે. આવો જ એક બનાવ રાજકોટ શહેરમાં બનતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે .
રાજકોટ શહેરમાં કોર્પોરેટર દ્વારા ગરીબ પરિવારને સાત-સાત કિલો ડુંગળી આપવામાં આવી હતી.આ દરમિયાન તેમને ૧૨૦૦ કિલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ડુંગળીના વિતરણ દરમિયાન લોકો એકઠા થતા ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિનો અભાવના કારણે વોર્ડ નં.૧૨ કોંગ્રેસના કોર્પોરેટર વિજયભાઈ વાંકની માલવયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈએ આરોપ કર્યો હતો કે,ભાજપ સરકારના પોલીસ પર દબાણને કારણે ધરપકડ કરવામાં આવી હતી.