યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના પરમ ભક્તે સૌથી મોટુ દાન કરી ઇતિહાસ સર્જ્યો…

હાલોલ,(પંચમહાલ) એસ વી ચારણ(બોડેલી) :-

યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દિવાળી અને પૂનમના પાવન દિવસ નિમિત્તે ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી દોઢ લાખ ઉપરાંત માઇભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઊમટયા હતા. જ્યાં પાવાગઢની તળેટી ચાંપાનેરથી લઇ માચી અને ડુંગરપર માતાજીના મંદિર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ ઊભરાયું હતું. જેમાં શુક્રવારે વહેલી સવારથી જ મહાકાળી માતાજીના ધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ઘસારો અવિરત પણે શરૂ થયો હતો. જેમાં સાંજ સુધી દોઢ લાખ ઉપરાંત માઇભકતોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું.
શુક્રવારે દેવ દિવાળી અને પૂનમને લઈને યાત્રિકોના ઘસારાના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરાઈ યાત્રિકોને મહાકાળી માતાજીના દર્શન કરાવ્યા હતા. જ્યારે દેવ દિવાળી નિમિત્તે મહાકાળી માતાજીના મંદિરના પરિસર ખાતે કાલિકા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અન્નકુટ દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં મહાકાળી માતાજીના દર્શને પધારેલા દોઢ લાખ ઉપરાંત શ્રદ્ધાળુ માઈ ભકતોએ ભવ્ય અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત મહાનુભવોએ પણ ભવ્ય અન્નકૂટના દર્શન નિમિત્તે મંદિર ખાતે હાજર રહી ભવ્ય અન્નકૂટના દર્શન કરી મહાકાળી માતાજીની પૂજા અર્ચના કરી હતી.
શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડીના રહેવાસી અને હાલ હિંમતનગર ખાતે વ્યવસાય કરતા અને મહાકાળી માતાજીના પરમભક્ત બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી મંદિર ખાતે ઇતિહાસનું આજદિન સુધીનું સૌથી મોટુ દાન કરી ઇતિહાસ સર્જ્યો હતો. જેમાં મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા બાબુલાલ સોનાજી રાજપુરોહિતે મહાકાળી માતાજીને સવા કિલોનો સોનાનો છત્ર ચડાવ્યો હતો. અને મંદિર ખાતે 1 કરોડ 11લાખનો ચેક મંદિર ટ્રસ્ટને અર્પણ કરી યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે આજ દિન સુધીનું સૌથી મોટું દાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. જેમાં બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોઇ 1995થી પોતાના પરિવાર સાથે દર વર્ષે મહાકાળી માતાજીના દર્શને પાવાગઢ ખાતે પધારે છે. જેમાં તેઓએ દેવ દિવાળીના પાવન પર્વે પૂનમ નિમિત્તે મહાકાળી માતાજીને સવા કિલો સોનાનો છત્ર ચડાવી તેમજ મંદિર ખાતે 1 કરોડ 11 લાખનું સૌથી મોટું દાન કરી માતાજી પ્રત્યેની પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.
યાત્રાધામ પાવાગઢ ખાતે શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે  ઉમટી પડ્યા હતા. જેમાં યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે તેજ પવનના પગલે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસથી રોપ-વે કંપની દ્વારા ભારે પવનને પગલે કોઈ હોનારત સર્જાય નહિ તેની તકેદારીના પગલારૂપે રોપ-વે બંધ કરી દેવાતા હજારો યાત્રાળુઓ અટવાયા હતા. અને રોપ-વે ખાતે યાત્રાળુઓની લાંબી લાંબી કતારો જામી હતી. જેમાં પરિવાર સાથે આવેલા વૃદ્ધ અને બાળકોને રોપ-વે બંધ હોવાને લઇને ભારે હાલાકી પડી હતી. જેમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પાવાગઢ ખાતે પવન સ્થિર થતા રોપ-વે ફરી શરૂ કરાયો હતો. જેને લઇ સવારના સાડા છ કલાકની આસપાસ થી દસ વાગ્યા સુધી રોપ-વે બંધ રહેતા રોપ-વે મારફતે ડુંગર પર માતાજીના મંદિર સુધી જવા માંગતા હજારો યાત્રીકોને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. જોકે 10 વાગ્યા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરાતા વારાફરતી યાત્રિકોને રોપ-વે દ્વારા ડુંગર સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરાતા યાત્રિકોએ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here