બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ
બિયારણ, પાકેલા માલનાં વેચાણ સહિતના પ્રશ્નથી ખેડુતો ચિંતિત બન્યા…
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપના કારને હાલ સમગ્ર ભારતભરમાં લોકડાઉનનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે દેશની જનતા લોકડાઉનનું યોગ્ય પાલન પણ કરી રહી છે. અને કેટલાય લોકોમાં ચિંતા પણ જોવા મળી છે એમાં સૌથી વધારે જગતના કેહાવતા તાત એવા ખેડુતો હાલ ચિંતામાં છે કારણ કે પોતાના ખેતરોમાં વાવેલ પાક તૈયાર થઈ ગયો છે. અને હાલમાં યાર્ડમાં પણ ખરીદી થતી નથી તેમજ ખરીદી થાય તો પુરતા ભાવ મળતા નથી તેથી ખેડુતોની હાલત કફોડી બની રહી છે.
દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર પ્રસરાય રહ્યો છે. આવા સમયે અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે કારણ કે એક બાજુ વાવણી નજીક આવી ગઈ છે. અને બિયારણ પણ મળતું નથી તો બીજી બાજુ ખેડુતોના ઘરોમાં કપાસ, મગફળી, ડુંગળી જેવા પાકો પાકીને સડી રહ્યા છે અને લોકડાઉનના ૫૦ દિવસ થયા છતાં હજુ ખેડુતો વેચાણ કરી શક્યા નથી. આના કારણે ખેડુતોને દેવામાં ડુબવાની ભીતી સતાવી રહી છે. આ બાબતે જ્યારે બાબરા તાલુકાના કુંવરગઢ ગામના ખેડુત આગેવાનો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે હાલ ખેડુતોની હાલત ખુબજ ખરાબ અને દયનીય છે માટે સરકાર ખેડુતો સામે જોવે તે ખુબ જ જરૂરી છે. જો ખેડુતોના પાકોનું વેચાણ પુરતા ભાવે નહી થાય તો ખેડુતો દેવામાં ડુબવા લાગશે.
વધુમાં ખેડુતોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબે જે પેકેજની જાહેરાત કરી છે તે માત્ર ઉદ્યોગો માટે છે આમા ખેડુતોને કોઈ લાભ નથી માટે સરકારે ખેડુતોના હિતમા પણ જાહેરાત કરવી ખુબ જ જરૂરી છે. તેવી માંગ કુંવરગઢ ગામના ખેડુતોએ કરી છે. વધુમાં જાણાવેલ છે કે જો ખેડુતોના પાકનો પુરતો ભાવ નહી મળે તો ખેડુતોના આત્મહત્યાના બનાવો પણ વધુ બનવા લાગશે. માટે સરકારે વહેલી તકે ખેડુતોના હિતમાં યોગ્ય જાહેરાત કરવી જોઈએ અને ખેડુતોને દેવામા ડુબતા બચાવવા જોઈએ.