પંચમહાલ જિલ્લામાં NFSA કાર્ડ ધારકોને 476 રેશનિંગની દુકાનો પરથી વિનામૂલ્યે ખાદ્યાન્નનું વિતરણ શરૂ કરાયું

ગોધરા,તા-૦૨-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- અનુજ સોની

પંચમહાલ જિલ્લાના 2.14 લાખ પરિવારોને એપ્રિલ મહિનાનું રાશન નિ:શુલ્ક મળશે

કોરોના વાયરસના ભયને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાઓનું પાલન સુનિશ્ચિત કરી ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠાનું વિતરણ કરાયું

કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન દરમિયાન શ્રમિક પરિવારો, રોજનું કમાનારા ગરીબ પરિવારો રોજબરોજના રાશન માટે કોઇ મુંઝવણ ના અનુભવે તે માટે રાજય સરકાર દ્વારા અંત્યોદય કાર્ડ ધારકો અને એનએફએસએ કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આપેલ નિર્દેશો અનુસાર પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓની માન્યતા પ્રાપ્ત સસ્તા અનાજની દુકાનો(ફેર પ્રાઈસ શોપ (એફપીએસ) પરથી એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને આ મહિનાના રાશનનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના 2.14 લાખથી વધુ એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારક પરિવારોને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનો એક મહિનાનો જથ્થો વિનામૂલ્યે આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા માત્ર રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળના અંત્યોદય અન્ન યોજના, અગ્રતા ધરાવતા અને બીપીએલ કુંટુંબોને જ સસ્તા અનાજની દુકાનો પરથી એપ્રિલ માસના જથ્થાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય પૂરાવા નથી તેઓને પણ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત એક મહિનાનું રાશન નિ:શુલ્ક આપવામાં આવશે.
શ્રી અરોરાએ રાશન લેવા આવતા લાભાર્થીઓને કોરોના સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને રાશન લેવા માટે કોઇ પણ પ્રકારની ભીડભાડથી દૂર રહેવા તેમજ દુકાનો પર ખરીદી સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બનાવેલ વર્તુળમાં ઉભા રહેવાની સિસ્ટમનું અનુસરણ કરવા જણાવ્યું હતું. એફપીએસ દુકાનદારોને દુકાન પર આવતા ગ્રાહકો પોતાના હાથ સેનિટાઈઝરથી સાફ કરી કોરોના વાઇરસનુ સંક્રમણ ન ફેલાય તે માટેની કાળજી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે.
રાશન વિતરણ વેળાએ સોશ્યિલ ડિસ્ટન્સિંગ અંગેના પગલાનું પાલન સુનિશ્ચિત કરવા ફેર પ્રાઇસ શોપ ઉપર એક પોલિસ કર્મી, સરપંચ, તલાટી અને એક શિક્ષકને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત, જે રેશનીંગના દુકાનદારે આ માસના નાણાની રકમ ચલણથી ભરી દીધી છે તેમને આવતા માસમાં નાણા મજરે કરી દેવામાં આવશે.
આ યોજના અંતર્ગત એએવાય રાશનકાર્ડ ધરાવતા અંત્યોદય 28,900 કુંટુંબોને કાર્ડ દીઠ 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, 1 કિલો દાળ આપવામાં આવશે. આ કાર્ડ ધરાવતા 1,31,260 લોકોને તેનો લાભ મળશે. સાથે 3 વ્યક્તિ સુધી કાર્ડદીઠ 1 કિલો ખાંડ આપવામાં આવશે. 3 થી વધુ હોય તો વ્યક્તિદીઠ 350 ગ્રામ ખાંડ મળશે.
પીએચએચ રાશનકાર્ડ હોય તેવા અગ્રતા ધરાવતા 1,85,179 કુંટુંબોને વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં, 1.50 કિલો ચોખા અને કાર્ડ દીઠ 1 કિલો દાળ આપવામાં આવશે. આ કાર્ડ ધરાવતા જિલ્લાના 9,56,338 લોકોને તેનો લાભ મળશે.
બીપીએલ રાશનકાર્ડ ધરાવતા 1,03,719 કુંટુંબોના 5,55,157 લોકોને વ્યક્તિદીઠ 350 ગ્રામ ખાંડ આપવામાં આવશે. તમામ એએવાય અને બીપીએલ કાર્ડધારકોને 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલો આયોડાઇઝડ મીઠું અને 6 થી વધુ વ્યક્તિ હોય તો કાર્ડદીઠ 2 કિલો મીઠું આપવામાં આવશે.
તમામ અગ્રતા ધરાવતા 1,85,179 કુંટુંબો જે નેશનલ ફૂડ સિક્યોરીટી એકટ અંતર્ગત એપીએલ 1 અને એપીએલ 2 કાર્ડ ધરાવે છે તેમને કાર્ડદીઠ 1 કિલો ખાંડ અને 1 કિલો આયોડાઇઝડ મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. જે અંતર્ગત 9,56,338 લોકો લાભાન્વિત થશે.
આ માટે એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ રેશનની દુકાને રેશનકાર્ડ લઈને જવું અને તેમાં એન્ટ્રી કરાવવાની રહેશે.આ ઉપરાંત રેશન કાર્ડ સાથે કોઈ એક ઓળખનો પુરાવો સાથે લઈ જવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here