પંચમહાલ જિલ્લામાં ચોથા લોકડાઉનની સમાપ્તિ બાદ નિયંત્રણો અને છૂટછાટો અંગે કલેક્ટરશ્રીનું વિસ્તૃત જાહેરનામું…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

30મી જૂન, 2020 સુધી છૂટછાટો સાથે લંબાવવામાં આવેલ લોક ડાઉન સંદર્ભે ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામાઓ અને માર્ગદર્શિકા તેમજ નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણ સામે તકેદારીના ભાગરૂપે સમગ્ર પંચમહાલ જિલ્લામાં કેટલાક નિયંત્રણો મૂકવાની જરૂરિયાતના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા સને. 1973ના ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-144, ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-43 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34 હેઠળ મળેલ અધિકારની રૂએ નીચે મુજબની અમલવારી અર્થે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

સમગ્ર જિલ્લામાં આ કૃત્યો પ્રતિબંધિત રહેશે

(1) સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર અનધિકૃત રીતે ચાર કે તેથી વધુ વ્યયક્તિઓએ એક સાથે કોઈ પણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
(2) તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરી પર પ્રતિબંધ રહેશે સિવાય કે તબીબી કારણો, એર એમ્બ્યુલન્સ તથા સુરક્ષાના ઉદ્દેશો અથવા કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પરવાનગી આપવામાં આવી હોય.
(3) તમામ સિનેમાઘરો, શોપિંગ મોલ, જિમ્નેશિયમ્સ, સ્વીમિંગ પુલ, એમ્યુઝમેન્ટ પાર્ક, થિયેટર, બાર,ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને તેના જેવી જગ્યાઓ બંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ દર્શકો સિવાય ચાલુ રાખી શકાશે.
(4) તમામ સામાજિક- રાજકીય- સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમત, મનોરંજન અને શૈક્ષણિક કાર્યક્રમો- પ્રસંગો અને આ પ્રકારના અન્ય તમામ મેળાવડામાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
(5) જાહેર બાગ-બગીચા, આર્કિયોલોજીકલ સાઈડ, બીચ, પ્રવાસન સ્થળો, સાંસ્કૃતિક અને અન્ય થિયેટર કાર્યક્રમો બંધ રહેશે.
(6) આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિઓ માટે વ્યક્તિઓની અવર-જવર પર રાત્રિના 09.00 કલાકથી સવારના 05.00 કલાક સુધી સંપૂર્ણ પ્રતિબંધ (નાઈટ કર્ફ્યુ) રહેશે.
(7) 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ, કો-મોર્બિડીટી ધરાવતી વ્યક્તિઓ, સગર્ભા મહિલાઓ અને દસ વર્ષથી નીચેના બાળકો એ જરૂરિયાતો અને તબીબી આરોગ્યના કારણો સિવાય ઘર બહાર નીકળવું નહીં.
(8) તમામ શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક તાલીમ, કોચિંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે તેમ છતાં સંસ્થાઓ ઓનલાઇન/ ડિસન્ટન્સ લર્નિંગ પદ્ધતિ મારફતે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ચાલુ રાખી શકાશે.
(9) તમામ ધાર્મિક સ્થળો, પૂજનના સ્થળો 08/06/2020 સુધી જાહેર જનતા માટે બંધ રહેશે. ત્યારબાદ સરકાર દ્વારા અપાતી સૂચના અનુસાર અમલ કરવાનો રહેશે.
(10) ગૃહ, આરોગ્ય, પોલીસ, સરકારી કર્મચારી, આરોગ્ય કાર્યકર્તાઓ, પ્રવાસીઓ સહિત ફસાયેલી વ્યક્તિઓ અને ક્વોરેન્ટાઈન સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય તે સિવાયની હોટલો, રેસ્ટોરન્ટ અને આતિથ્ય સેવાઓ, બસ ડેપો, રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ પર કેન્ટીન તા.08/06/2020 સુધી બંધ રહેશે. ભોજનની ડિલિવરી માટે રસોડું ચાલુ રાખવા માટે રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે. ત્યારબાદ સરકારશ્રીની સૂચના અનુસાર અમલવારી કરવાની રહેશે.
(11) શોપિંગ મોલ તા.08/06/2020 સુધી બંધ રહેશે. ત્યારબાદ સરકારશ્રીની સૂચના અનુસાર અમલવારી કરવાની રહેશે.

કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં ચાલુ રહેનાર પ્રવૃત્તિઓ અને નિયંત્રણો

  1. પંચમહાલ જિલ્લામાં હાલ જાહેર કરાયેલ કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારે 07.00 થી સાંજે 07.00 કલાક સુધી પરવાનગી આપવામાં આવી છે.
  2. કન્ટેઈમેન્ટ વિસ્તારમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી બહાર અવરજવર કરી શકશે નહીં.
  3. સંરક્ષણ અને સલામતી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પોલીસ, જેલ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, ફાયર તથા ઇમરજન્સી સેવાઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંલગ્ન સેવાઓ કોઈપણ જાતના પ્રતિબંધ વિના કામ કરશે.

નોન કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ચાલુ રહેનાર પ્રવૃત્તિઓ અને નિયંત્રણો

પંચમહાલ જિલ્લાનાં નોન- કન્ટેઈમેન્ટ એરિયામાં નીચે મુજબની પ્રવૃત્તિઓને શરતોને આધીન વિગતે મંજૂરી આપવામાં આવી છે.

  • ચા-કોફીની દુકાનો, રીટેલ દુકાનો, પાનની દુકાનો (માત્ર ટેક-અવે લઈ જઈ શકાશે), લિકર શોપ (માત્ર પરવાનાધારકો માટે), બાર્બર, હેરકટ, સલૂન અને બ્યુટી પાર્લર, રીપેર શોપ્સ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનોને ખુલ્લા રાખવા અનુમતિ.
  • 60 ટકાની ક્ષમતાએ લાઇબ્રેરીઓ પણ કાર્યરત રાખી શકાશે.
  • એસ.ટી.બસને છૂટ આપવામાં આવી છે. ડ્રાઇવર વત્તા બે પેસેન્જરની સાથે ઓટોરિક્ષા, ટેક્સી, કેબને મંજૂરી આપવામાં આવી છે. કેબ-ટેક્સીમાં જો સિટીંગ કેપિસીટી 6 કે તેથી વધુ વ્યક્તિઓની હોય તો ડ્રાઈવર ઉપરાંત 3 મુસાફરોને બેસાડી શકાશે.
  • ટુ વ્હીલર પર એક વત્તા એક કુલ બે જણાને અનુમતિ.
  • ખાનગી ઓફિસ, બેન્કો, સરકારી કચેરીઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કાર્યરત રહી શકશે.
  • જિલ્લાના નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં ગૃહ વિભાગના જાહેરનામાથી પ્રતિબંધિત ન હોય તેવી આર્થિક પ્રવૃતિઓ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની શરતે નગરપાલિકા વિસ્તારમાં સવારના 08.00થી સાંજના 07.00 કલાક સુધી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારના 08.00થી રાત્રિના 08.00 કલાક સુધી ચાલુ રહી શકશે.
  • લોક ઈન ફેસિલીટી અને નિરંતર પ્રોસેસ વાળા ઉદ્યોગોને સમયમર્યાદાનો બાધ રહેશે નહીં. ઉદ્યોગો 100 ટકા સ્ટાફ સાથે સામાજિક અંતર જાળવવાની શરતે ચાલુ રહી શકશે.
  • આંતર રાજ્ય અને આંતર જિલ્લા હેર ફેર માટે કોઈ પ્રકારની પરવાનગીની જરૂર રહેશે નહીં.

નીચેની બાબતોનું અમલીકરણ સમગ્ર પંચમહાલ જિલ્લામાં કરવાનું રહેશે

  1. કોઈપણ વ્યક્તિ જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો પર થૂંકીને કે અન્ય રીતે ગંદકી કરશે તો તેમની સામે રૂપિયા 200/- નો દંડ વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
  2. સમગ્ર પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ દરેક નાગરિકે માસ્ક પહેરવું અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત કાપડથી ઢાંકવા ફરજીયાત રહેશે. તેમ ન કરનાર વ્યક્તિ સામે રૂ. 200/- દંડ વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
  3. મંજૂરી આપવામાં આવેલ ચીજવસ્તુઓ/સેવાઓના વેપારીઓએ વિતરણ સમયે ૬ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
  4. જિલ્લામાં જાહેર કરવામાં આવેલા કન્ટેઈમેન્ટ વિસ્તારોમાં સમાવિષ્ટ તમામ લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને જરૂરી વિગતો દૈનિક ધોરણે અપડેટ કરવાની રહેશે.
  5. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોરોનાવાયરસ અંગે કોઈ પણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે ફેલાવશે તો તેને ગુનો ગણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  6. જો કોઈ વ્યક્તિ અન્ય દેશ/રાજ્યમાંથી મુસાફરી કરીને આવેલા હોય તો તેમણે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ- ફોન નંબર 02672-250 668 કે હેલ્પલાઇન નંબર 104 ઉપર ફરજિયાત રીતે જાણ કરી તમામ પ્રકારની જાણકારી આપવાની રહેશે. તેમજ વહીવટી તંત્રની સુચના અનુસાર હોમ ક્વોરેન્ટાઈન તેમ આઈસોલેશન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો તેઓને ફરજિયાત રીતે પંચમહાલ જિલ્લાના સરકારી ક્વોરેન્ટાઈન વોર્ડમાં ખસેડી એપિડેમિક એક્ટ- 1897ની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામુ સમગ્ર પંચમહાલ જિલ્લા હદ વિસ્તારને લાગુ પડશે તેમ જ આ હુકમની અમલવારી તા. 01/06/2020થી તા. 30/06/2020 સુધી (બંને દિવસો સહિત) કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ-51 થી 58 અને ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-139ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here