પંચમહાલ જિલ્લામાં કોરોના રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત….

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

કોવિડ-19થી વધુ જોખમ ધરાવતી વ્યક્તિઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપી સુરક્ષિત કરવાનો સંકલિત અભિગમ

કો-મોર્બિડ દર્દીઓ, 60 વર્ષથી મોટી ઉંમરના વડીલો, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોના સ્વાસ્થ્યનું સતત સર્વેલન્સ

સ્વાસ્થ્ય ચકાસણી, સારવાર, ફોલોઅપ, ઈમ્યુનિટી વધારનાર ઉકાળા-દવાનું વિતરણ સહિતના પગલાઓ લેવાયા

વિશ્વભરમાં અને દેશમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓની પેટર્ન જોતા ૬૦ વર્ષથી ઉપરના તેમજ ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓનો આંક મોટો માલુમ પડે છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, ડાયાબિટીસ, હાયપરટેન્શન, એચ.આઈ.વી. તથા ન્યુમોનિયા જેવી બીમારીથી પીડાતા નાગરિકોની ખાસ કાળજી રાખવાની જરૂરિયાત સમજીને પંચમહાલ જિલ્લામાં કલેકટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ કોરોના રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમની રચના કરવામાં આવી છે. કલેકટરશ્રી અરોરાએ જણાવ્યું હતું કે હાઈ રિસ્ક ધરાવતા ટાર્ગેટ ગ્રુપની ઓળખ કરીને તેમને કોરોના સંક્રમણનો ભોગ બનતા બચાવવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે આ સમિતીની રચના કરવામાં આવી છે. કોરોના રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ 60 વર્ષથી મોટી ઉંમરના વડીલો, દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમ જ ટીબી, એચઆઈવી, ડાયાબિટીસ, હાઈપરટેન્શનના દર્દીઓ જેવી કો-મોર્બિડ દર્દીઓ તેમજ ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓની ઓળખ કરીને અલગ તારવવામાં આવ્યા છે. સંક્રમણને ધ્યાનમાં રાખીને તેમને રહેલા જોખમની સમીક્ષા કરી તેમનું કાઉન્સિલિંગ, ચેક-અપ, સારવાર અને ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આરોગ્ય સેતુ, ટેકો પ્લસ, ડો. ટેકો, આઈડીએસપી, ટીબી, એચ.આઈ.વી વગેરે સેલ દ્વારા કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા દર્દીઓની યાદી બનાવાઈ છે. આ દર્દીઓ પર ખાસ ધ્યાન આપીને તેમનો સર્વે કરીને તેમનામાં જો તાવ, શરદી, ખાંસી, કફ જેવા લક્ષણો જોવા મળે તો તેની સારવાર અને સતત ફોલોઅપ લેવામાં આવે છે. ગંભીર રોગોથી પીડાતા દર્દીઓની તબીબો દ્વારા ચકાસણી કરવામાં આવે છે અને નિયમિત સારવાર કરવામાં આવે છે. આશા કાર્યકર્તાઓ નિયમિત રીતે તેમની મુલાકાત લઇને તેઓ દવાઓ લઈ રહ્યા છે, અપાયેલી સૂચનાઓનું પાલન કરી રહ્યા છે કે કેમ વગેરે બાબતોની ખાતરી કરી રહ્યા છે.

ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કોવિડ-19 યોદ્ધા, ફિમેલ હેલ્થ વર્કર તથા આશાવર્કર દ્વારા કો-મોર્બિડ અને ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝ્ડ વ્યક્તિઓની યાદી, 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને 10 વર્ષથી નાના બાળકોના સ્વાસ્થ્ય સંબંધી ચકાસણી કરી સતત સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે. કોરોનાના ચેપ સામે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરતા આર્યુવેદિક ઉકાળા અને હોમિયોપેથિક દવાઓનું પણ આ ટાર્ગેટ જૂથમાં વિતરણ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સીઆરએમ હેઠળ જિલ્લાના કુલ 2,00,998 ઘરોના 10,32,740 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી 1,59,008 જેટલા 10 વર્ષથી નીચેની વયના બાળકો છે, જ્યારે 60 વર્ષથી વધુ વયના લોકો 93,716 છે. આ પૈકી 1103 વ્યક્તિઓ ટી.બી, 75 વ્યક્તિઓ એચઆઈવીથી, 218 લેપ્રસી, 4652 બ્લડપ્રેશરથી અને 2895 વ્યક્તિઓ ડાયાબીટીસથી પીડિત છે જ્યારે 675 અસ્થમાથી, 176 કેન્સરથી, 7 વ્યક્તિઓ ન્યુમોનિયાથી અને 921 વ્યક્તિઓ અન્ય રોગોથી ગ્રસ્ત છે.
આ ઉપરાંત, આ વ્યક્તિઓને કોરોના સંબંધી માહિતી અને માર્ગદર્શન આપવા માટે ટેલિ કાઉન્સેલિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં એન.એસ.એસ.ના તાલીમ પામેલા વિદ્યાર્થીઓ કોરોના સામે વધુ જોખમ ધરાવતા આવા વ્યક્તિઓની યાદી મેળવી તેમને કોરોના સામે સુરક્ષિત રહેવા સાવચેતીના પગલા અને કાળજીઓની બાબતમાં કુટુંબીજનો અને વ્યક્તિને માહિતગાર કરવામાં આવે છે. હાલ સુધી કુલ 3466 વ્યક્તિઓને ફોન કરીને કોરોના સંબંધી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે. વ્યક્તિગત સ્વચ્છતા તેમજ સંક્રમણના ભયને જોતા ઘરે રહેવાના મહત્વ વિશે સમજૂતી આપવામાં આવે છે. સંક્રમણ સામે કોગળા કરવા, ગરમ પાણી પીવું, આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીક દવાઓ, પૌષ્ટિક આહાર સહિતના કુદરતી નુસ્ખાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આવા કુલ 7,333 વ્યક્તિઓને આયુર્વેદિક ઉકાળાઓ અને 11,769 વ્યક્તિઓને હોમિયોપેથિક દવોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોક ડાઉનના કારણે સર્જાયેલ તણાવની સ્થિતિથી મુક્તિ મેળવવાના ઉપાયો સૂચવવામાં આવે છે. મેડિકલ સર્વે દરમિયાન કોરોના અંગે જાગૃતિ આપતા પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here