પંચમહાલ જિલ્લામાંથી 1220 પરપ્રાંતીયોને વિશેષ ટ્રેન મારફતે પોતાના માદરે વતન ઉત્તરપ્રદેશ મોકલાયા….

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

ગોધરાથી કાનપુર નોનસ્ટોપ વિશેષ શ્રમિક ટ્રેઈન દોડાવાઈ

તાલુકાઓમાંથી બસ મારફતે શ્રમિકોને ગોધરા રેલવે સ્ટેશને પહોંચાડ્યા

પોતાના વતન પરત ફરવા ઈચ્છતા શ્રમિકો હેલ્પલાઈન 1077 પર નોંધણી કરાવી શકે છે

કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ગઈકાલે રાત્રે પંચમહાલ જિલ્લામાંથી કુલ 1220 શ્રમિકોને ગોધરા-કાનપુર વિશેષ ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલવામાં આવ્યા હતા. આ શ્રમિકોએ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી. લોકડાઉનના અમલ બાદ વતન જવા ઇચ્છતાં પંચમહાલ જિલ્લાના અને બહારથી આવીને શેલ્ટર હોમમાં રોકાયેલા શ્રમિકો માટે સ્પેશ્યલ ટ્રેન દ્વારા પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાની વ્યવસ્થા થતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતા.
સમગ્ર વ્યવસ્થાને સીધી દોરવણી આપનાર પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ બાબતે જણાવ્યું હતું કે લોક ડાઉન દરમિયાન પોતાના વતન, ઉત્તર પ્રદેશ જવા માંગતા 1220 જેટલા શ્રમિકોને એક વિશેષ શ્રમિક ટ્રેન મારફતે કાનપુર પહોંચાડવામાં આવ્યા છે. તેમનું થર્મલ સ્કેનર ગનથી બોડી ટેમ્પરેચર લઈ, કોરોનાના લક્ષણો અંગે તપાસ કરી તંત્ર દ્વારા મેડિકલ સર્ટી આપવામાં આવ્યા હતા. કાનપુરથી શ્રમિકોને પોત-પોતાના જિલ્લામાં પહોંચાડવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે જિલ્લામાંથી પોતાના વતન પાછા ફરવા માંગતા શ્રમિકો, પરપ્રાંતીયો હેલ્પલાઈન 1077 પર સંપર્ક કરી નોંધણી કરાવી શકે છે. હજી પણ જો શ્રમિકો બાકી રહી ગયા હશે અને જો તેમની સંખ્યા મોટી હશે તો તેમને વિશેષ ટ્રેન મારફતે અથવા વડોદરા જેવા નજીકના જિલ્લા સાથે સંકલન કરીને વતન મોકલવામાં આવશે.

જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે જણાવ્યું હતું કે શ્રમિકોને તાલુકાઓથી ગોધરા પહોંચાડવાની પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. જિલ્લાના જુદા-જુદા તાલુકામાંથી બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે બસમાં બેસાડી આ શ્રમિકોને ગોધરા લાવવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લાના શેલ્ટર હોમમાં રોકાયેલા 92 જણાને પણ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ રવાના કરાયા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ સંક્રમણનો કોઈ ભય ઉભો ન થાય તે માટે જિલ્લા પોલિસ અને આરપીએફનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here