ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો…

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી સૂચનો આપ્યા

પંચમહાલ ના 467 ગામોને કોરોના મુક્ત બનાવવા સરપંચોએ કર્યો સામૂહિક સંકલ્પ

ગુજરાત રાજ્યના સ્થાપનાદિન નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પંચમહાલ જિલ્લાના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. જિલ્લાના સાત જિલ્લામાંથી બે-બે એમ કુલ 14 સરપંચો સાથે વિડીયો સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણને પ્રસરતું અટકાવવા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરતું અટકાવવા દરેક સરપંચને મારું ગામ કોરોના મુક્ત ગામ એવો સહિયારો સંકલ્પ કરી સમગ્ર જિલ્લાને કોરોનામુક્ત બનાવવા આહવાહ્ન આપ્યું હતું. જેનો ઉત્સાહજનક પ્રતિસાદ આપતા પંચમહાલ જિલ્લાના તમામ 467 ગામોના સરપંચોએ પોતાના ગામને કોરોના મુક્ત રાખવાનો અને તે માટે સરકારે સૂચવેલા પગલાઓ અને નિયમોનું પાલન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લાના ગામોની માફક રજિસ્ટર રાખી ગામમાંથી બહાર થતી અવર-જવરનું ટ્રેકિંગ કરવા સૂચવ્યું હતું. તેમણે સંક્રમણથી બચવાના પગલાઓની ચર્ચા કરતા દરેક વ્યક્તિ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે વારંવાર સાબુથી હાથ ધોવે તેમજ એક બીજાથી બે મીટરનું સલામત અંતર બનાવી રાખવાના નિયમોનું પાલન કરીને કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવ્યું હતું. નોવેલ કોરોના વાયરસથી ડરવાની નહીં પરંતુ લડવાની સજ્જતા કેળવવાની જરૂર છે તેમ જણાવતા મુખ્યપ્રધાનશ્રીએ સંક્રમણનું વધુ જોખમ ધરાવતા વૃદ્ધો, ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓની ખાસ કાળજી લેવા અને ઘર બહાર ન નીકળે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રી એ ગામમાં લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારતા ઉકાળા વિતરણ કરવા તેમજ હાલની સ્થિતિમાં મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો ના યોજાય કે વધુ લોકો ભેગા ન થાય તેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિવસની ભેટરૂપે મે મહિના માટે પણ મધ્યમ વર્ગીય એ.પી.એલ.પરિવારોને આગામી 7મી મેથી ફરી વાર થનારા વિના મૂલ્યે અનાજ વિતરણની વિગતો ગ્રામીણ સરપંચોને આપી હતી. આ ઉપરાંત, અનાજ વિતરણનો લાભ લેવાથી કોઈ જરૂરતમંદ રહી ગયા હોય તો તેમની યાદી તૈયાર કરી તેમને લાભ અપાવવા માટે તેમણે નિર્દેશ આપ્યો હતો. તેમણે ગામોમાં મનરેગા ના કામો અને સુજલામ સુફલામ્ ના કામો શરુ કરી લોકોને રોજગારી મળે તેમજ આગામી ચોમાસા પહેલા તળાવ ચેક ડેમ ઊંડા કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે પણ સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી વિજય ભાઈ રૂપાણીએ સમળકુવા, ગુંદેવડી, જબાન, રજાઈતા, મોરા, સાથરોટા, રામેસરા, એરાલ, ખડકી, ચાંચપુરા વગેરે ગામોના સરપંચો પાસેથી તેમના ગામોની કોરોના સામેની લડાઈમાં ગામમાં સેનીટાઈઝેશન, માસ્ક વિતરણ, લોક ડાઉનનું પાલન, ગામોમાં અવરજવરનું રજીસ્ટર નિભાવણી ની વિગતો મેળવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન જીલ્લા કલેકટરશ્રી દ્વારા પણ કોરોના સંદર્ભે જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here