મોરબી,
પ્રતિનિધિ :- આરીફ દીવાન
ઉદ્યોગગૃહોએ જ મજૂરોની તમામ પ્રકારની વ્યવસ્થા કરવા તંત્રની અપીલ
મોરબી કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા મોરબી જિલ્લામાંથી શ્રમિકોનું સ્થળાંતર અટકે અને ઉદ્યોગગૃહો દ્વારા મજૂરોની તકેદારી રખાવાય તે અનુસંધાને મોરબી જિલ્લામાં બે અધિકારીઓને ખાસ ફરજ સોંપાતા આ અંગે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી સરકારી શ્રમ અધિકારીશ્રી એમ.એમ. હિરાણી અને ડૉ. દિશાબેન કાનાણીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં વિવિધ ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલ એસોસિએશનના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સંસ્થાઓમાં હાલમાં રહેલ પર-પ્રાંતિય મજુરોને સરકારશ્રી ગાઇડલાઇન જાહેર ન થાય ત્યા સુધી મજુરોને સંસ્થામાં જ રાખવા. આ મજુરોને રાશનની પુરતી વ્યવસ્થા જે તે સંસ્થાએ પોતે કરવી. મજુરોને મેડીકલ સારવારની સુવિધા સંસ્થાના માલિકે કરવી, કોઇપણ સંજોગોમાં શ્રમિકો સંસ્થાની બહાર નિકળીને રસ્તા પર ન આવી જાય તેની તકેદારી માલિકે રાખવા સહિતના નિર્ણયો લેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં પર-પ્રાતિય મજૂરોના સ્થળાંતરના પ્રશ્ન બાબતે ૨૭-૦૪-૨૦૨૦ના રોજ નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જે અનુસંધાને મોરબી જિલ્લાના ઉદ્યોગો સાથે સંકળાયેલા વિવિધ મંડળના પ્રમુખ અને પ્રતિનિધિઓને હાજર રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી વ્યાપારી મંડળ, મોરબી સિરામિક એસોસિએશન અને સેનેટરી વેર્સ, મોરબી વીટ્રીફાઇડ, મોરબી સિરામિક એસોસિએશન વોલ ટાઇલ્સ, માળીયા તાલુકા સોલ્ટ મેન્યુ એસોસિએશન વગેરેના પ્રમુખ તથા પ્રતિનિધિઓ તેમજ તથા કે.સી ભાલોડીયા રેસી સેનીટરી વેલ્સ, ટીટા સેનીટરી વેર્સ પ્રા.લી. હાજર રહ્યા હતા.