કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નગરમાં બેંક ઓફ બરોડાના વિવિધ વિસ્તારોમાં ત્રણ ગ્રાહક સેવા કેન્દ્રો ચાલી રહ્યા છે, આ ગ્રાહક સેવા કેન્દ્રો પર રૂપિયા દશ હજારથી ઓછી રકમના બેંક લેવડદેવડ થાય છે. પરંતુ તાજેતરમાં પાછલા ત્રણ દિવસથી ત્રણેય ગ્રાહક સેવા કેન્દ્રો પર બેંક સર્વર ઠપ્પ હોવાનું જણાવી લેવડદેવડ ઠપ્પ હોવાનું જોવા મળે છે, જેથી દશ હજારથી ઓછી રકમની લેવડદેવડ કરવા માટે ગ્રાહકો બેંકમાં જાય છે ત્યારે દશ હજારથી ઓછી રકમની લેવડદેવડ માટે બેંક કર્મચારીઓ ગ્રાહકોને ગ્રાહક સેવા કેન્દ્રો પર મોકલે છે પરંતુ બીજી તરફ ગ્રાહક સેવા કેન્દ્રો બંધ હાલતમાં જોવા મળે છે. જેને કારણે હજારો ગ્રાહકો અટવાયા છે અને ધરમધકકા ખાઈને પરત ફરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે, અનેક જીઆઈડીસી કંપનીઓના નોકરીયાત ગ્રાહકોનો પગાર પણ જમા થઈ ગયા છે પરંતુ બેંક ઓફ બરોડાની ટાર્ગેટ નીતિના કારણે ગ્રાહક સેવા કેન્દ્રોની લેવડદેવડ સ્થગિત કરીને નાના ગ્રાહકોને હાલાકીઓ ભોગવવી પડે તેવી સ્થિતિ ઉભી થતાં બેંકની ટાર્ગેટ નીતિ અને ગ્રાહક ભેદભાવ જેવા બેવડા ધોરણો સામે અસરગ્રસ્ત ગ્રાહકોએ રોષ પ્રગટ કર્યો છે.