કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ગૌરવ યાત્રા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહેલીવાર કાલોલમાં આગમન કરશે
કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મંગળવારે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા અને કાલોલ શહેર ભાજપ પાંખના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી 16 ઓક્ટોબરના રોજ ગુજરાત ગૌરવયાત્રાના આગમનની પુર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌરવયાત્રાના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ગૌરવ યાત્રામાં આવનાર હોવાથી કાર્યક્રમના સફળ આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી. 2002 વિધાનસભાની ચૂંટણીટાણે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયે નરેન્દ્ર મોદી કાલોલમાં ગૌરવ યાત્રા લઈને આવ્યા હતા ત્યાર પછી પહેલીવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આવશે.
આ બેઠકમાં કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ પાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, ડો.યોગેશભાઈ પંડ્યા, જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, મહામંત્રી કિરણસિંહ સોલંકી સહિત કાલોલ તાલુકા અને શહેર ભાજપ સંગઠન મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને સરપંચો પણ હાજર રહ્યા હતા.