કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ શહેરમાં અનલોક-૨ ના સમયગાળામાં કોરોના વાયરસનો પ્રભાવ વધતાં શહેરમાં હાલમાં જેટલા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેને પગલે મંગળવારે સવારે જિલ્લા પોલીસ નાયબ પોલીસ મહાનિર્દેશક એમ. એસ. ભરાડા અને જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ સહિતના પોલીસ કાફલા સાથે શહેરના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત કરી તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. શહેરમાં અચાનક ઉડતી મુલાકાતે આવેલા જિલ્લા પોલીસ કાફલાને પગલે શહેર પોલીસ અને તંત્ર એક્શનમાં જોવા મળ્યું હતું. કાલોલ શહેરમાં સાત જેટલા કન્ટેનમેન્ટ ઝોન છે જે પૈકી જિલ્લા પોલીસ દળોએ એકમાત્ર હાઉસિંગ સોસાયટીના કન્ટેનમેન્ટ ઝોનની ઉડતી મુલાકાત કરી બાકીની જગ્યાએ ગાડી મા બેઠા બેઠા જ લટાર મારી સબ સલામત હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેરમાં લોકડાઉન દરમ્યાન તંત્રની અસરકારક કામગીરીને પગલે એક પણ કોરોના પોઝીટીવ કેસ દેખાયો નહોતો. પરંતુ અનલોક-૧ અને અનલોક-૨ મુજબની છુટછાટમાં જાહેરનામા મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્કના ઉપયોગ અંગે લોકોની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાને પગલે શહેરમાં ૧૯ જેટલા પોઝીટીવ કેસો પ્રભાવિત બન્યા હતા. જે મુદ્દે સંભવિત રીતે લોકડાઉન દરમ્યાન જોવા મળેલી અસરકારક કામગીરી જો અનલોક-૧-૨માં પણ યથાવત રહી હોત તો કોરોના વાયરસના સંક્રમણનો પ્રભાવ નિયંત્રિત રહ્યો હોત. જે અંગે હવે તો ઘોડા છૂટી ગયા પછી તબેલા પર તાળાં મારવા જેવો ઘાટ સર્જાયો હોવાની લોકોમાં ચર્ચા ઉઠી હતી.