આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં તા.૨૬ મી થી તા.૩૦ મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી થનારી ઉજવણી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નિયત કરાયેલાં સ્થળોએ સાફ-સફાઇ, દેશ ભક્તિ, પ્રકૃતિ અને પર્યાવરણ તેમજ આધ્યાત્મિક થીમો આધારિત “નદી ઉત્સવ” ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાશે

ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ તા.૨૬ મી ડિસેમ્બર થી તા.૩૦ મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી નર્મદા જિલ્લામાં નિયત કરાયેલા સ્થળો ખાતે શ્રમ-દાન(સાફ-સફાઇ), દેશ ભક્તિ, પ્રકૃતિ અને પર્યાવરણ તેમજ આધ્યાત્મિક થીમો આધારિત “નદી ઉત્સવ” ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૨૬ મી ડિસેમ્બર,૨૦૨૧ ને રવિવારના રોજ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના ચેરમેનશ્રી મધુભાઇ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં સવારે ૬:૦૦ કલાકે અકતેશ્વર ચોકડીથી લઇને ગરૂડેશ્વરની જનરલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશનથી મહાદેવ ઘાટ સુધી મેરેથોન દોડ યોજાશે. ત્યારબાદ બપોરે ૩:૦૦ કલાકે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતની નદીઓ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, નર્મદાનું મહત્વ, ધાર્મિક સ્થળો વગેરે જેવા વિષયો પર વકૃત્વ સ્પર્ધા, બપોરે ૪:૦૦ કલાકે ચિત્ર સ્પર્ધા અને સાંજે ૫:૦૦ કલાકે ડીબેટ સ્પર્ધા યોજાશે. તેવી જ રીતે તા.૨૭ મી ડિસેમ્બર,૨૦૨૧ ને સોમવારના રોજ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને વરાછાના ધારાસભ્ય કિશોરભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં સવારે ૯:૦૦ કલાકે મહાદેવ મંદિરના ઘાટના આસપાસના વિસ્તારોમાં શ્રમ-દાન (સાફ-સફાઇ), સવારે ૧૧:૦૦ કલાકે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિજ્ઞા લેવાની સાથે ૧૨:૦૦ કલાકે પંચાયત કચેરીની આસપાસના વિસ્તારોમાં શ્રમ-દાન(સાફ-સફાઇ) અને બપોરે ૩:૦૦ કલાકે ગરૂડેશ્વર મેઇન બજારના વિસ્તારોમાં શ્રમ-દાન (સાફ-સફાઇ) ના કાર્યક્રમો યોજાશે.

તા.૨૮ મી ડિસેમ્બર, ૨૦૨૧ ને મંગળવારના રોજ વરાછાના ધારાસભ્ય કિશોરભાઇ કાનાણી અને લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં સવારે ૭:૦૦ કલાકે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોગા, મેડીટેશન/ધ્યાન શિબિર યોજાશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે ક્રાતિકારી થીમ પર સ્ટોરી ટેલીંગ અને ત્યારબાદ સાંજે ૫:૦૦ કલાકે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે નદી તથા આઝાદીની લડતની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેવી જ રીતે તા.૨૯ મી ડિસેમ્બર,૨૦૨૧ ને બુધવારના રોજ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય કિશોરભાઇ કાનાણી અને લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં સવારે ૬:૦૦ કલાકે દેડીયાપાડા તાલુકાના સગાઇ ખાતે નેચરવોક (પ્રકૃતિ તથા ઇકોલોજી), સવારે ૮:૦૦ કલાકે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ અને બપોરે ૪:૦૦ કલાકે દેડીયાપાડાના સગાઇ ખાતે વનસ્પતિ તથા પ્રાણી સૃષ્ટિના પ્રદર્શન યોજાશે.

તા.૩૦ મી ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી તેમજ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં સવારે ૫:૩૦ કલાકે મહાદેવ મંદિર ઘાટથી લઇને પોલીસ સ્ટેશન, ગરૂડેશ્વર મેઇન બજારથી પરત ઘાટ સુધીના વિસ્તારોમાં પ્રભાતફેરીનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે ૫:૦૦ કલાકે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ઘાટ ખાતે આરતી, દીપોત્સવ, રીવર મશાલના કાર્યક્રમો યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here