રાજપીપલા,
પ્રતિનિધિ :- આશિક પઠાણ
જાહેરનામુ્ છતાં માસ્ક ન પહેરનાર 33 વેપારીઓને નગરપાલિકાએ દંડ ફટકાર્યો
સરકાર દ્વારા કોરોનાની મહામારીને અનુલક્ષી અનેક જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે, લોકોને તકલીફ ન પડે એ માટે વેપાર ધંધો ખુલ્લા રાખવાની પણ જાહેરાત કરી છે, પરંતુ હાલ કોરોના મહામારીને લીધે સરકારે તમામને માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જે માસ્ક ન પહેરે એમને દંડ ફટકારવાની પણ સરકારે જોગવાઈ કરી છે.નર્મદા જિલ્લામાં કોરોનાના 12 કેસો સામે આવ્યા હતા, જો કે એ તમામ દર્દીઓ સાજા થઈ જતા એમને રજા આપવામાં આવી છે, જે નર્મદા જિલ્લા માટે એક શુભ શરૂઆત થઈ છે. દરમિયાન કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય એ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નિયમોનું પાલન કરવા લોકોને જણાવાયું છે. નર્મદા જિલ્લામાં તમામ ધંધાદારીઓએ, બહારથી આવતા તમામ નાગરિકો, ફેરિયાઓએ માસ્ક પહેરવું અને ધંધાના સ્થળે હેન્ડ સેનેટાઈઝર રાખવું ફરજીયાત કર્યું છે. આ સુચનાનો ભંગ કરનારને 100 થી 500 રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરાઈ છે.
રાજપીપળા નગરપાલિકાને નગર માટે એના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે,રાજપીપળા પાલિકાની વિવિધ ટીમો અલગ અલગ વિસ્તારમાં આ મામલે ચેકીંગ માટે નીકળી હતી.દરમિયાન પ્રથમ દિવસે જ રાજપીપળા પાલિકા દ્વારા 33 જેટલા દુકાનદારોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે. નગરપાલીકા ની દંડનીય કામગીરી થી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.