શહેરા,તા-૦૫-૦૪-૨૦૨૦
પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ
શહેરા તાલુકાના બોરીયાવી ગામની સસ્તા અનાજની દુકાનમાં કાર્ડ ધારકોને અનાજ મળવાપાત્ર મળતુ નહી હોવાને લઈને હોબાળો મચ્યો હતો. જેને લઇને મામલતદાર ટીમ દ્વારા સ્થળ ખાતે આવીને ૫૦ થી વધુ કાર્ડ ધારકોના જવાબ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય સસ્તા અનાજનાં દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
શહેરા તાલુકાના બોરીયાવી ગામમાં આવેલ અનુ.નંબર બે ની સસ્તા અનાજની દુકાન વિજયભાઈ ભરતભાઈ ડાભી ની આવેલી છે . આ સસ્તા અનાજની દુકાનમાં ૨૫૦ થી વધુ કાર્ડ ધારકોને નિશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે અમુક કાર્ડ ધારકોને સરકાર દ્વારા અપાતો અનાજનો જથ્થો ના મળતો હોવાને લઈને બધા એકત્રિત થયા હતા. અને દુકાનદાર સમક્ષ કાર્ડ ધારકોએ મળવાપાત્ર અનાજનો જથ્થો આપવા માટે રજૂઆત કરવા સાથે મામલતદાર મેહુલ ભરવાડ ને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જેને લઇને મામલતદાર દ્વારા એક ટીમ ને સસ્તા અનાજની દુકાન ખાતે મોકલી દેવામાં આવી હતી. મામલતદાર કચેરીથી આવેલ ટીમ સમક્ષ ઉપસ્થિત કાર્ડ ધારકોએ પોતાને મળવાપાત્ર જથ્થો ના મળતા હોવાનું જણાવ્યું હતું . કાર્ડ ધારકોનાં જવાબો લઈને ટીમ પરત મામલતદાર કચેરી ખાતે રવાના થઈ હતી. જ્યારે આ બાબતે મામલતદાર મેહુલ ભરવાડ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાન ખાતે કાર્ડ ધારકોને પૂરતો જથ્થો ન મળ્યો હોવાને લઈને બૂમ ઉઠી હતી. મારી ટીમ દ્વારા દુકાન ખાતે જઈને કાર્ડધારકોના જવાબ લઇને આ સામે કાર્યવાહી હાથ ધરી ને જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવનાર છે. જ્યારે સરકાર દ્વારા આવી પરિસ્થિતિમાં ગરીબ વર્ગ અને મધ્યમવર્ગના લોકોને અનાજનો જથ્થો મફત આપવામાં આવી રહયો છે. ત્યારે આવા દુકાનદારો સામે પુરવઠા વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે તે જોવુજ બની રહયુ છે.