રાજકોટથી બિહારના ભાગલપુર સુધી ૧૧૬૮ પરપ્રાન્તિય શ્રમિકોને લઈ ટ્રેન રવાના….

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

ટ્રેન મારફતે ૨૫ કલાક જેટલો સમય કાપીને શ્રમિકો પહોંચશે પોતાના માદરે વતન

શ્રમિકોની વિદાય વેળાએ રાજકોટ જંકશન ભારત માતા કી જયના ગગનભેદી જયધોષથી ગુંજી ઉઠ્યુ…

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેના ભાગરૂપે શહેરમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને સતત ત્રીજા દિવસે જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા રાજકોટ રેલ્વે જંકશન ખાતેથી વહેલી સવારે ૦૯ કલાકે અંદાજિત ૧૧૬૮ જેટલા પરપ્રાંતિય મજુરોને વતનમાં પરત ફરવા માટે ૨૪ કોચની ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
બિહાર અને ગુજરાત સરકાર વચ્ચે સંકલન સાધીને રાજકોટથી ભાગલપુર પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે શ્રમિકોની સંપૂર્ણ તબીબી ચકાસણી કરીને ટીકીટ આપવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આ પ્રમાણે રજીસ્ટ્રેશન કરીને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવશે.
દેશના ખરા કર્મયોગી એવા શ્રમિકો હેમખેમ તેમના વતન પરત ફરે છે ત્યારે તેમનો પરિવાર જે આશિર્વાદ આપે છે તેનાથી મોટી ખુશી કોઈ જ નથી. તેમ કાનુડામિત્ર મંડળના પ્રમુખશ્રી કેતનભાઈ પટેલે જણાવ્યું હતું.
કોરોનાના કપરા સમયમાં જરૂરિયાતમંદોને મદદ રૂપ થવા માટે જેટલા પરપ્રાંતિય શ્રમિકો લોકડાઉનમાં પોતાના વતન પરત જઇ શક્યા ન હતા. તેઓને વતન બિહાર પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની ટિકિટનો તમામ ખર્ચ કુલ રૂ. ૯.૩૪ લાખની ચુકવણી સામાજિક સંસ્થા કાનુડામિત્ર મંડળ દ્રારા કરવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને ૫૪ જેટલા શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. રાજકોટથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ અને ત્રિપલ લેયર માસ્ક તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ, જેમ્સ બોલ, વેફરવાળા ફુડપેકેટ તથા રમકડાઓ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર શ્રમિકો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને બે વખત સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે. અંદાજિત ૩૦ જેટલા ટિકીટ એક્ઝામિનર તથા વરીષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા કતારબંધ ઉભા રહીને શ્રમિકોને હાથ હલાવીને વિદાય આપી હતી.વિદાય વેળાએ રાજકોટ જંકશન ભારત માતા કી જય ના ગગનભેદી જયધોષ સાથે ગુંજી ઉઠ્યુ હતું.
આ તકે પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, આસિ. ડીવીઝનલ કોમ. મેનેજર અસલમ શેખ તેમજ રેલ્વે સેવાના જરૂરી અધિકારીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here