મોરબી,
પ્રતિનિધિ :- આરીફ દીવાન
સુજલામ સુફલાજ જળ અભિયાન ૨૦૨૦ હેઠળ વોટર સેડના કામો થકી અત્યાર સુધી ૪૨૭૪૦ ઘનમીટર માટી કાઢવામાં આવી…
સુજલામ સુફલામ જળ ૨૦૨૦ અભિયાન અંતર્ગત વોટર સેડના કામોના મોરબી જિલ્લાના નોડલ ઓફિસર જીતેન્દ્ર વી. કાલરીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મોરબીમાં અનેક સ્થાનો પર જળ સંગ્રહની ક્ષમતા વધારવા જળસંચયના તળાવ ઊંડા કરવા, ખેત તલાવડી, માટીપાળા અને ચેકડેમ ડિસીલ્ટીંગના કામોનો પ્રારંભ કરાયો છે. હાલે મોરબીના બગથળા અને મોડપર ખાતે તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. તો ચેકડેમ ડીસીલ્ટિંગના કામો પણ મોડપર તેમજ મોટી વાવડી અને પંચાસર ખાતે ચાલી રહ્યા છે.
સુજલામ સુફલાજ જળ અભિયાન હેઠળ ચાલી રહેલા કામો થકી અત્યાર સુધી ૪૨૭૪૦ ઘનમીટર માટી કાઢવામાં આવી છે. આ માટી થકી આજુબાજુના ખેડૂતોએ ખેતર કે વાડીમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકશે. ચાલી રહેલા કામોમાં જે.સી.બી. ટ્રેક્ટર અને ટ્રક કે ડંપર જેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મોડપર ગામની વોટર સેડ કમિટિના સભ્ય કાનજીભાઇ ધનજીભાઇ વસાણીયાએ જણાવ્યું હતું કે, હાલે જે સુજલામ સુફલાજ જળ અભિયાન હેઠળ તળાવ ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે જેથી તળાવમાં પાણી ભરાવાની ક્ષમતા વધશે. જેથી ખેડૂતો સિંચાઇ માટે વધુ પાણીનો ઉપયોગ કરી શકશે. આ કામગીરી અંતર્ગત જે કાંપવાળી માટી કાઢવામાં આવે છે તે ખેડૂતોને પોતાના વાહનમાં નિઃશુલ્ક ભરી આપવામાં આવે છે. આ માટી ખેડૂતો પોતાના ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકે છે.જમીનની ફળદ્રુપતા વધે છે. જેથી ખેડુતોને પણ મોટો ફાયદો થઇ રહ્યો છે.
વધુમાં કાનજીભાઇ જણાવે છે કે, પહેલા આ તળાવથી ૧૫ વિઘાનું પિયત થતું હતું હવે ૨૫ થી ૩૦ વિઘાનું પિયત થશે જેથી ખેડૂતોને સૌથી મોટો ફાયદો સિંચાઇના પાણીનો થશે. આ યોજના ખેડૂતો માટે વરદાનરૂપ સાબીત થશે.
મોડપર ગામના સ્થાનિક ખેડૂત અશોકભાઇ બાવરવાએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલાજ યોજના અંતર્ગત હાલે અમારા મોડપર ગામમાં જે કામો ચાલી રહ્યા છે તેનાથી અમારા ગામના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઇ રહ્યો છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ફળદ્રુપ માટી પોતાના ખેતરમાં પોતાના ખર્ચે લઇ જઇને ખેતરમાં નાખીને સારો પાક મેળવશે.