માંગરોળ,
પ્રતિનિધિ :- ઐયુબ મજેવડીયા
દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને કોરોનાના વધતા કહેરને લઇને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ છે. તેમ છતાં લોકો બહાર નીકળી રહ્યાં છે ત્યારે ગઇ કાલે માંગરોળ બંદર પર આવેલા 54 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે વધુ 28 લોકોને ક્વોરન્ટાઇન કરાતાં કુલ 82 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકામાં એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને ક્વોરન્ટાઇન કરવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગઇ છે.
માંગરોળ બંદરના આ તમામ લોકો મહારાષ્ટ્ર દહાળું બંદરેથી આવેલા હોવાનું જાણવા મળે છે. આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભી જણાવે છે કે માંગરોળ બંદર પર આવેલા લોકો મહારાષ્ટ્રથી આવતા તેઓને ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે માંગરોળ મામલતદાર જણાવે છે કે આ લોકો માંગરોળ બંદરના હોય, તેઓ મહારાષ્ટ્રના દહાળું બંદરેથી આવેલા છે. જ્યારે મરીન પોલીસ જણાવે છે કે બોટવાળા આવ્યા છે. જેમને બંદર વિસ્તારની સ્કૂલમાં રાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે જિલ્લાઓમાં હાલ કોરોનાનો એક પણ કિસ્સો નથી તેમાં જૂનાગઢનું પણ નામ છે. આમ હાલ જૂનાગઢમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી. તેનો સંપૂર્ણ જશ સતર્ક રહેતું પ્રશાસન અને જાગૃત જનતાને જાય છે. દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો મહારાષ્ટ્રમાં હોય ત્યારે ત્યાંથી આવેલા આટલી મોટી સંખ્યાના લોકોને લઇને તંત્રની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.