બાબરા,
પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ
રૂપીયા કમાવવાની લાલચે દુકાનદારો દ્વારા કાળજી રાખવામાં આવતી નથી…
લોકડાઉનના નિયમોની ઐસી-તૈસી કરી જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા લોકો
વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવી હજારો લોકોને મોતના મુખમા ધકેલનાર કોરોના વાયરસે ભારતમા પણ લોકોના જીવ અધ્ધર કરવાની શરૂઆત કરી દીધી છે. આજ દિન સુધી કોરોના વાયરસના કેસોની સંખ્યા છ હજાર ઉપર પહોચતા ગૂજરાત સરકાર પણ એકશનમાં આવી ગઈ છે. પીએમ મોદીના જનતા કરફ્યુની હિમાયત બાદ સમગ્ર ભારતમાં લોકડાઉનની જાહેરાત કરવામા આવી હતી ત્યારબાદ બીજો તબક્કો અને હાલ ત્રીજા તબક્કાના લોકડાઉનનું અમલ કરવાની જાહેરાત કરી દીધી છે. સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાયરસનો કાળો કહેર વરસી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક માત્ર અમરેલી જીલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. હાલમાં પણ જીલ્લામાં એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી માટે તંત્ર દ્વારા સામાન્ય ધંધા રોજગારોને સવાર ના ૭ થી બપોર ના ૪ વાગ્યા સુધીની છુટ આપવામાં આવેલ છે.આ છૂટછાટના અમુક જગ્યાએ કાયદાનું પાલન થતું નથી જે બાબતે તંત્ર ને ધ્યાન આપવું ખુબજ જરૂરી બન્યું છે.
અમરેલી જીલ્લાના બાબરા તાલુકાની મુખ્ય બજારો સવારથી જ ધમધમતી થઈ જાય છે. લોકો વસ્તુંઓ ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. ત્યારે બાબરાની બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો નથી અને દુકાનદારો પણ ઝૂજ રૂપિયા કમાવવાની લાલચે ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાની તકેદારી લેતા નથી. હાલમાં મળેલ છૂટછાટનાં કારણે બાબરાની મેન બજારમાં જાણે લોકડાઉન હોય જ નહી તેવું દરરોજ જોવા મળે છે. લોકો અને દુકાનદારો કોરોના મહામારીને ગંભીરતાથી ના લેતા હોય તેવું જોવા મળેલ છે. ત્યારે બાબરાના સરકારી તંત્રને અને પોલિસ વિભાગને નમ્ર અપિલ છે કે, બાબરાની મુખ્ય બજારોમાં જે દુકાનદારો ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કરાવે તેનું લાઈસન્સ રદ કરવામાં આવે અને જો કોઈ ગ્રાહક કાયદાનું પાલન ના કરે તો તેના વિરૂધ્ધમા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરીકોની માંગ છે. સમગ્ર ગુજરાતમાં માત્ર અમરેલી જીલ્લો કોરોનાની ઝપેટમા નથી આવ્યો અને જો યોગ્ય રીતે નિયમોનું પાલન થાય તો આવનારા સમયમાં પણ કોરોના અમરેલી જીલ્લામાં પ્રવેશ ના કરી શકે. જો આવી ને આવી પરિસ્થિતિ રહેશે તો આ મહામારીથી અમરેલી જીલ્લો પણ બાકાત નહી રહે. લોકોમાં કોરોના વાયરસ માટે જાગૃતા લાવવી ખુબજ જરૂરી બની છે.