નાંદોદ તાલુકાના ભદામ ગામના સમગ્ર વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કરેલુ જાહેરનામુ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ભદામ ટેકરા, ભદામ નવીનગરી, તોરણા, ચિત્રાવાડી ગામોને બફર ઝોન જાહેર કરાયા

હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સિમ્પલીગની કામગીરી કરાશે

હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૨ પોઝીટીવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર. કોઠારીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નાંદોદ તાલુકાના ભદામ ગામતળના સમગ્ર વિસ્તારને તા.૨૩/૦૪/૨૦૨૦ થી તા.૦૬/૦૫/૨૦૨૦ COVID-19 Containment Area તરીકે જાહેર કરતું જાહેરનામુ પ્રસિધ્ધ કરીને ઉક્ત સમયગાળા દરમિયાન કેટલાક નિયંત્રણોની અમલવારી કરવાનો હુકમ કર્યો છે.

તદ્અનુસાર ભદામ ગામના સમગ્ર વિસ્તારમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અને સેમ્પલિંગની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઈ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારના રહેવાસી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં. આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓન જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને 24X7 રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે.

તદ્ઉપરાંત તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, કરીયાણું, ખાધ પદાર્થો તેમજ દવાઓ વિગેરેના પુરવઠો બહારથી જયારે આ વિસ્તારમાં પહોંચાડવાનો હોય ત્યારે ENTRY (પ્રવેશ) POINT પર અનલોડીંગ કરીને માત્ર હોમ ડિલીવરી વ્યવસ્થા મારફતે જ વિતરણ કરી શકશે. હોમ ડિલીવરી કરનાર વ્યક્તિએ સક્ષમ સત્તાધિકારી પાસેથી લેખિત પરવાનગી (પાસ/પરમીટ) મેળવી લેવાની રહેશે. આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. ભારત સરકારશ્રીના Containment Area પ્લાનની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના તા.૧૫/૪/૨૦૨૦ના આદેશથી આપવામાં આવેલી છૂટછાટ અન્વયે અત્રેની કચેરીએથી પ્રસિધ્ધ કરેલ જાહેરનામા ક્રમાંક: એમએજી/COVID-19/ જાહેરનામું/વશી/૧૩૧૩ થી ૧૩૪૮/૨૦૨૦, તા.૧૯/૪/૨૦૨૦ ની જોગવાઈઓ આ વિસ્તારને લાગુ પડશે નહી.

વધુમાં, મોજે ભદામ, તા.નાંદોદ, જિ.નર્મદા ગામની એટલે કે, બફર એરીયામાં આવતા ભદામ ટેકરા, નવી નગરી ભદામ (લાછરસ રોડ), તોરણા અને ચિત્રાવાડી ગામોની હદને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આ માર્ગનો ઉપયોગ કરતી વખતે Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાનન દ્વિચક્રીય વાહન પર એક વ્યક્તિથી વધુ અને ત્રણ/ચાર ચક્રીય વાહનમાં બે વ્યક્તિથી વધુ વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે નહીં.

બફર એરીયામાં આવતા ગામોના વિસ્તાર માટે કેટલાક અપવાદ લાગુ પડશે. જેમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ / વિતરણ કરવા તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકોનો સમાવેશ થાય છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here