કાલોલ તાલુકાના ગામોએ સ્વયંભૂ લોક ડાઉનનો અમલ કરી ઉત્તમ ઉદાહરણ આપ્યું

કાલોલ,તા-૦૧-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ,કાતોલ, રામનાથ મોકળ સહિતના સંખ્યાબંધ ગામો સ્વેચ્છાએ થયા આઈસોલેટ

‘ઘરે રહી કોરોના સામેની લડાઈ જીતવામાં મદદ કરો’ની અપીલને ઝેલી લેતા પંચમહાલના ગ્રામજનો

ગામોમાં ચેકિંગ અર્થે આવતી પોલિસ પણ જડબેસલાક લોક ડાઉનથી પ્રભાવિત

ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ અને વિશ્વભરમાં પ્રસરેલ મહામારી નોવેલ કોરોના કોવિડ-19ના ભારતમાં ફેલાવાને રોકવાના હેતુથી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, સરકાર દ્વારા લોકોને પોતાના ઘર, વિસ્તાર છોડીને બહાર ન જવા અંગે દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કેટલાક જાગૃત ગામોના નાગરિકોએ સ્વચ્છાએ પોતાના ગામોને આઈસોલેટ કરી બાહ્યસંપર્કથી દૂર રાખવા ઉદાહરણીય પગલા લીધા છે. અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કાતોલ, મોકળ, રામનાથ સહિતના સંખ્યાબંધ ગામના નાગરિકોએ કોરોના સામેની લડાઈમાં લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના મહત્વને સમજીને પોતાના ગામને 21 દિવસો માટે બાહ્ય સંપર્ક વિહાણા કર્યા છે અને કોરોના વાયરસના ચેપને પોતાના ગામમાં પ્રવેશવાના ભયને નાબૂદ કર્યો છે. રામનાથ ગામના રહેવાસી નવિન પટેલ જણાવે છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના પગલે થયેલા મૃત્યુના સમાચારો જાણી ચિંતિત થયેલા ગ્રામજનો કોઈપણ ભોગે પોતાના ગામમાં આ રોગને પ્રવેશતો અટકાવવા માંગતા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાષ્ટ્રજોગ પ્રવચન સાંભળીને સૌએ 21 દિવસ સુધી ગામને સંપૂર્ણપણે લોકડાઉન કરી નાંખવાનો નિર્ણય કર્યો. જેનું પાલન સુનિશ્ચિત કરવા ગામના કેટલાક જાગૃત યુવાનોએ ભેગા થઈ આ માટે સમિતી બનાવી અને લોક ડાઉન દરમિયાન ગામમાં પ્રવેશ અને રસ્તાઓ પરની અવર-જવરને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું. ગ્રામજનોએ આ લોકડાઉનનું પાલન એટલું જડબેસલાક કર્યું કે લોક ડાઉન જાહેર થવાની રાત્રિએ ગામમાં જેટલી વ્યક્તિઓ હાજર હતી તેમાં એક પણ વ્યક્તિનો વધારો કે ઘટાડો થયો નથી. ગામમાં પ્રવેશવાના રસ્તાઓ પર આ નાગરિકો ઉભા રહી આવનાર વ્યક્તિઓને ચેપ રોકવા માટે લોક ડાઉનના મહત્વને સમજાવી પાછી વાળે છે. આ ગામોના ચેકિંગ માટે આવનાર પોલિસ પણ લોકડાઉનની આવી સઘન વ્યવસ્થા જોઈ પ્રભાવિત થયા વગર નથી રહી શકતી.
ગામના અન્ય એક નાગરિક બ્રિજેશભાઈ પટેલ જણાવે છે કે ગામ બહાર જવાની જરૂરિયાત જ ન ઉભી થાય તે માટે ગ્રામજનોએ 21 દિવસો માટે પોતાની જરૂરિયાતો બને તેટલી ઘટાડી દેવાનો નિર્ણય કર્યો. આ માટે સૌને સંમત કરવા સહેલા નહોતા. શરૂમાં કેટલાક ગ્રામજનો નારાજ પણ થયા પરંતુ ગ્રામજનોના વિશાળ હિતને ધ્યાનમાં લઈને અંતે તેઓ પણ આ લોકડાઉનમાં જોડાયા. ગ્રામજનો જણાવે છે કે ગામ બહારનો સંપર્ક કાપી નાંખવાના કારણે તેઓ હવે કોરોનાનો ચેપ લાગવા અંગે ચિંતિત નથી. તેઓ માત્ર લોક ડાઉનનું પાલન કરી રહ્યા છે તેમ નથી પરંતુ ગ્રામજનોની તબિયતની પણ નિયમિત રીતે દરકાર લેવામાં આવી રહી છે. કોરોનાના લક્ષણોથી માહિતગાર એવા આ ગ્રામજનો પોતાની ગામની કોઈ વ્યક્તિઓમાં આ લક્ષણોની તપાસ નિયમિત રીતે કરી રહ્યા છે. તેમણે પોતાના ગામોને સારી રીતે સ્વચ્છ કરી દવા છંટાઈ, ફોગિંગ કરાવી રોગચાળો ફેલાવવાની શક્યતાને પણ નહિવત બનાવી છે. વિક્રમભાઈ રાઠોડ જણાવે છે કે આ ઉપરાંત ગ્રામજનોને કોરોના અંગે જાણકારી આપી તેઓ માસ્ક પહેરે, ઉધરસ-ખાંસી ખાતી વખતે મોં ઢાંકી રાખે, જાહેરમાં ક્યાંય થૂંકે નહીં, સ્વચ્છતા જાળવે વગેરે બાબતો સુનિશ્ચિત કરાઈ રહી છે.
કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિમાં ફેલાય છે અને તે જ કારણોસર સરકાર દ્વારા લોક ડાઉનનો આદેશ આપી નાગરિકોને ઘરમાં જ રહેવા અને બહારની અવર-જવર ન્યૂનત્તમ કરી નાંખવા સૂચના અપાઈ છે. જો કે હજી પણ કેટલાક નાગરિકો આ સુરક્ષાત્મક પગલાઓનું મહત્વ ન સમજતા યોગ્ય કારણ વગર બહાર નીકળે છે તેમજ પોતાના ઘરની આસપાસની વ્યક્તિઓને છૂટથી મળે છે ત્યારે પંચમહાલના આ નાનકડા ગામના ગ્રામજનો કોરોના સામેની લડાઈમાં ઘરે રહીને પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે તેમજ અન્યો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here